Thursday, 18 June 2015

આપણા અંતરમનની દુનિયા ખૂબ જ ભેદી હોય છે


મનોવિજ્ઞાનના પિતા સિગ્મંડ ફ્રોઇડના સાથી-શિષ્ય અને થોડાંક વર્ષોમાં તેનાથી અલગ પડનારા કાર્લ ગુસ્તેવ યુંગના ખ્યાલોનો બહુ પ્રચાર થયો નથી, કેમ કે યુંગમાં પૂર્વની ધાર્મિક માન્યતાઓ, જુદા જુદા ધર્મોની પુરાણકથાઓ અને ગૂઢવિદ્યાઓની એટલી બધી છાંટ જોવા મળે છે કે પશ્ચિમના જગતને એ મનોવિજ્ઞાની કરતાં તત્ત્વજ્ઞાની કે રહસ્યવાદી વધુ લાગે છે. ફ્રોઈડ અને યુંગની સરખામણીમાં એડલર કંઈક નાનો લાગે છે અને એડલરનું કંઈ નક્કર પ્રદાન હોય તો તે માણસની લઘુતાગ્રંથિનો ખ્યાલ તેમ જ અતૃપ્ત ઈચ્છાઓનું વળતર વાળતા વર્તનનો ખ્યાલ ગણી શકાય.

ફ્રોઈડના કેટલાક ખ્યાલોની નક્કરતા કબૂલ કરીએ તો પણ માનવીનું મુખ્ય પ્રેરક ચાલકબળ તેની કામવૃત્તિ જ છે, તે ખ્યાલ કંઈક વધુ પડતો લાગે છે. યુંગની માન્યતા વધુ સાચી છે કે એક જમાનામાં જ્યારે માનવીની મૂળભૂત વૃત્તિઓમાંની એક ભૂખને સંતોષવાની વાત જ મુખ્ય હતી ત્યારે ખોરાક મેળવવાની બાબત જ કેન્દ્રમાં હતી. માણસ દંગલમાંથી બહાર આવ્યો અને નગરસમાજમાં દાખલ થયો પછી રોટી સુલભ બની અને જાતીયવૃત્તિની તૃપ્તિમાં તેની નિસબત વધી. આહારની બાબતમાં તે ઠીક ઠીક નિશ્ચિંત બની જતાં તેની મુખ્ય ચિંતા અને રસની બાબત જાતીયવૃત્તિ બની હોય તે બનવાજોગ છે, પણ માનવીના વર્તનના તમામ તાણાવાણામાં આ જ વાત મુખ્ય ગણવાનું કંઈક ભૂલભરેલું છે. એવી જ રીતે સત્તાપ્રભાવની ભૂખને પણ માનવવર્તનની પ્રેરણાનું મહાકેન્દ્ર ગણીને તેનું શાસ્ત્ર રચવાનું ખોટું છે. આ એકાંગી દર્શન છે અને તેથી સમગ્ર દર્શન માટે યુંગ વધુ પ્રસ્તુત બને છે. યુંગ પોતાના કેટલાક ખ્યાલોને આગ્રહપૂર્વક ચોક્કસ આગળ કરે છે પણ વખતોવખત એ કબૂલ કરે જ છે કે મનની દુનિયા એટલી મોટી છે કે થોડીક ગુરુચાવીઓનો ઝૂડો લઈને એવું માની શકાય એમ નથી કે તેના બધા જ ખંડના ભેદ પાડી શકાશે. એવી રીતે માણસના મનને દાગીનો પણ ગણી શકાય તેવું નથી. બધા ખેલ અંદરના જ છે, બહારનું કંઈ નથી!

દાખલા તરીકે જ્યોતિષ વિજ્ઞાન સાચું કે ખોટું? ફ્રોઈડનો વૈજ્ઞાનિક ભૌતિકવાદ જ્યોતિષને વહેમ કે અંધશ્રદ્ધાના ખાનામાં ફેંકી દે છે પણ યુંગ કહે છે કે આમાં તથ્ય નથી તેવું છાતી ઠોકીને કહી શકાય તેવું નથી. તે સો ટકા સાચું વિજ્ઞાન છે તેમ કહેવા વૈજ્ઞાનિક તૈયાર નહીં હોય પણ તે ખોટું જ છે એમ જો તે કહેતા હોય તો તેનો ચુકાદો મર્યાદિત અને મનપસંદ પુરાવાઓ તપાસનારા ન્યાયાધીશના જેવો છે. એ જ વાત આત્મા અને પુનર્જન્મની બાબતને લાગુ પડે છે. યુંગ જરાય સંકોચ વગર કહે છે, માણસને ડગલે ને પગલે ચઢિયાતા બળનો અનુભવ થાય છે. માણસ પોતાની ઈચ્છા અને સંકલ્પ પ્રમાણે બધું કરી શકતો નથી. કોઈક ચઢિયાતી તાકાત ડગલે ને પગલે તેની સામે આવે છે. યુંગ કહે છે કે હું આને ઈશ્વર કહીશ. આ માત્ર માન્યતાની બાબત નથી. હું અનુભવું છું કે ઈશ્વર છે.

યુંગની એક બીજી વાત પણ સાચી છે. તે કહે છે કે બાળક જન્મે છે ત્યારે શું તેને મગજ જેવું કંઈ હોતું જ નથી? બાળકનું મગજ શું ખાલી કે કોરી પાટી જેવું હોય છે? નવજાત બાળકનું મગજ શું ખાલી ફૂલદાની જેવું છે કે તમે તેમાં પસંદગીનાં ફૂલો ગોઠવી શકો? કેટલાંક માને છે કે બાળક જન્મે છે ત્યારે તેના મનમાં કંઈ જ નથી, પણ યુંગ કહે છે કે હું માનું છું કે બાળક જન્મે છે ત્યારે તેના મગજમાં બધું જ છે. તે હજુ જાગૃત નથી પણ બધી ગુંજાશ ત્યાં પડી છે. પૂર્વમાં આ જ ખ્યાલ છે અને મને સાચો લાગ્યો છે.

કાર્લ ગુસ્તેવ યુંગ ઈ.સ. ૧૮૭૫ની ૨૬ જુલાઈએ જન્મ્યો હતો. ‌િસ્વટ્ઝર્લેન્ડનો યુંગ સિગ્મંડ ફ્રોઈડ કરતાં ૧૯ વર્ષ નાનો હતો. ફ્રોઈડ બહુ જવલ્લે જ પંડિતાઈના ચીલાની બહાર પગ મૂકે છે પણ યુંગ આપસૂઝવાળા ખેડૂત જેવો છે. તે પોતાનું મન ખુલ્લું રાખીને બેઠો છે ને પોતાનાં પૃથક્કરણો અને માન્યતાઓની બહાર ઘણીબધી શક્યતાઓ વધુ ચઢિયાતા ઉકેલના દાવા સાથે ઊભી હોવાનું માનવા માટે તૈયાર છે. માણસનાં સ્વપ્નમાં તે માત્ર માણસની કામવૃત્તિની જ માયાજાળ કે વૃત્તિઓના દમનમાંથી છટકેલી કમાનોની કળા જ હોવાનું તે માનતો નથી.

સ્વપ્નો પણ માત્ર માણસની અંદરની જ રમત નથી. યુંગ કહે છે કે મેં એક વાર ધરતીકંપ જોયો ત્યારે મને પૃથ્વી પોતે જ એક મહાન પ્રાણી જેવી લાગી હતી. પૃથ્વી શેષનાગના માથા પર છે તેવી હિંદની પુરાણી માન્યતા કે આ અંગેની ચીન-જાપાનની જૂની માન્યતાઓને હસી કાઢવા એ તૈયાર નથી. વૈજ્ઞાનિક પોતાની બહુ જ નાનકડી પાટી લઈને બેસી જાય અને પોતાના અભ્યાસક્રમની બહારનો કોઈ દાખલો સાંભળવા કે ગણવા જ તૈયાર ના થાય અને આવા પ્રત્યેક સવાલને તે પરીક્ષા બહારનો અને ‘માત્ર વહેમ’ ગણાવી દે તેવો અભિગમ કાર્લ ગુસ્તેવ યુંગને મંજૂર નથી. 

-ભૂપત વડોદરિયાના પુસ્તક ' જાગરણ ' માંથી પંસદ કરેલા લેખો....

Sunday, 14 June 2015

અપેક્ષા વગરની મિત્રતા જ્વલ્લે જ મળે

























કોઈ વાર કોઈ માણસ જે રીતે બીજા માણસ સાથે વર્તે છે તે જોઈને હૃદયમાં ચુંથારાની લાગણી થાય છે. એક માણસ તરીકે માણસમાં આપણી શ્રદ્ધા ડગી જવા માંડે છે, પણ કેટલીયે વાર આપણે એવું અનુભવીએ છીએ કે, જ્યારે આપણી શ્રદ્ધા ડગમગવા માંડે છે ત્યારે જ આપણા મનના આકાશમાં કેટલાક ચહેરા ઝગમગી ઊઠે છે. 

એક માણસની આ વાત છે. તેનો એક મિત્ર. બંને શાળામાં સાથે ભણતા હતા. કોલેજમાં પણ બંને સાથે હતા. જોકે બંનેના અભ્યાસક્રમ જુદા હતા. જે માણસની આ વાત છે તેની આર્થિક સ્થિતિ પ્રમાણમાં સારી હતી. એના મિત્રની સ્થિતિ તદ્દન સાધારણ, પણ આર્થિક રીતે જેની સ્થિતિ સારી હતી તેને જ મિત્રની મદદની જરૂર પડતી અને સાધારણ સ્થિતિના એ મિત્રે તેને આવી મદદ અનેક પ્રસંગોએ કરી હતી. સાધારણ સ્થિતિનો આ મિત્ર, પણ તેને કોઈની પાસેથી કશું જ લેવાની મુદ્દલ તૃષ્ણા જ નહીં. તેને બસ આપવું જ ગમે. આપે પણ કોઈ અહેસાન ચઢાવીને નહીં, પોતે કોઈની ઉપર કોઈ નાનો કે મોટો ઉપકાર કરી રહ્યો છે તેવું તેના મનમાં પણ નહીં. જે માણસની આર્થિક સ્થિતિ એકંદરે સારી હતી તેની શરૂઆતની કારકિર્દીમાં તેને કંઈ ને કંઈ સમસ્યાઓ અને મૂંઝવણોનો સામનો કરવો પડેલો. દરેક વખતે તેના ગરીબ મિત્રે જ તેને મદદ કરેલી! તે માણસ પછી તો ખૂબ જ શ્રીમંત બન્યો, પણ પોતાના જૂના દિવસોને યાદ કરતાં તેણે કહ્યું કે, મને હંમેશાં એક વાતની ધરપત રહેતી કે, મારે એક એવો મિત્ર છે જે ભલે ગરીબ છે, પણ ગમે તેવી મંૂઝવણ વખતે તેનું નામ ભગવાનની જેમ લઈ શકાય તેમ છે. તેને ખબર પડે કે, હું કાંઈક તકલીફમાં મુકાયો છું એટલે તરત દોડી આવે! તમે તેની સહાય માગો તે પહેલાં તે તમારી સમક્ષ હાજર થઈ જાય! સૌથી મોટી વાત તો એ છે કે, એ વાતમાં મોણ ન નાખે. 

એક પ્રસંગને યાદ કરતાં એ માણસ આજે પણ આટલાં બધાં વર્ષો પછી ગળગળો થઈ જાય છે. એ માણસની વિધવા બહેનની પુત્રીનાં લગ્ન હતાં. એ માણસના પિતાએ સટ્ટામાં પૈસા ગુમાવ્યા અને વિધવા પુત્રીના દાગીના ગીરો મૂકી દીધા. વિધવા પુત્રીએ તો પિતાને સાચવવા આપેલા. ભાઈની સ્થિતિ કફોડી થઈ. પિતા કંઈ ને કંઈ બહાનાં બનાવતા. માણસ સમજી ગયો કે કંઈ ગરબડ છે અને હવે વિધવા બહેનને તેની પુત્રી માટે થોડું સોનું તો મેળવી આપવું જ પડશે. આ માણસ તો આવી કોઈ મૂંઝવણ વખતે પોતાના સાધારણ સ્થિતિના મિત્ર ઉપર જ મીટ માંડતો. એ માણસે મિત્રને પેટછૂટી વાત કરી ત્યારે મિત્રે આખી વાત જાણી. પેલા માણસના પિતાને પોતાને ઘેર લઈ ગયો અને પ્રેમથી-કુનેહથી સમજાવ્યા. મિત્રે પોતાની પત્નીને પણ વિશ્વાસમાં લીધી. એના પિયરના દાગીના ગીરો મૂકીને પોતાના મિત્રની વિધવા બહેનના દાગીના છોડાવી આપ્યા. મિત્રતાની ખરી કિંમત તો કટોકટીની ચોક્કસ ક્ષણે મળતી મદદની જ હોય છે.

આ મિત્રની આટલી સાધારણ સ્થિતિ અને છતાં તેની ત્રેવડ આટલી મોટી તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેને કોઈ તૃષ્ણા નહોતી. પેલા માણસે એક વાર એમના મિત્રને પૂછ્યું હતું, ‘તને કદી તને મહત્ત્વાકાંક્ષા જેવું થયું જ નથી? તને કદી વધુ સારી સગવડવાળી જિંદગી જીવવાનું મન થયું જ નથી?’ મિત્રે કહ્યુંઃ ‘મને બીજાની દેખાદેખી કરીને જીવવાનું ગમતું નથી.

મેં કોઈ કોઈ વાર મહત્ત્વાકાંક્ષાનો, વધુ સગવડ ભરેલી જિંદગીનો વિચાર કર્યો છે. બહુ વિચાર કરતાં લાગ્યું છે કે, તમે જ્યારે બીજા લોકોની સાથે મહત્ત્વાકાંક્ષાની બાબતમાં કે કીર્તિની બાબતમાં કે વધુ સારા જીવનધોરણની બાબતમાં હરીફાઈમાં ઊતરો છોે ત્યારે તમારે એ બધું કરવા માટે તમારાં સુખ-શાંતિનો ઘણો બધો ભોગ આપવો પડે છે. જીવનમાં આપણે જેમ સુખ-સગવડો વધારવા માટે જ દોડાદોડી વધારીએ છીએ તેમ આપણાં પોતાનાં ઉધામા અને અશાંતિ એટલાં વધી પડે છે કે આપણને પછી ખરેખર જીવવાની ફુરસદ જ રહેતી નથી. આપણી સફર એક સફર માણવા માટે નથી, પણ આપણે એકઠા કરેલા માલસામાનના માત્ર ચોકીદાર તરીકે જ આપણે મુસાફરી કરી રહ્યા છીએ! જાણે સાચા મુસાફરો આપણા આ માલસામાનના દાગીના છે અને આપણે તો માત્ર તેના ચોકીદારો જ છીએ!’

 ભૂપત વડોદરિયાના પ્રકાશિત પુસ્તકોમાંથી પસંદ કરેલા લેખોનો સંગ્રહ

Thursday, 11 June 2015

કેટલીક ચીજોનો પીછો કરવાથી તે દૂર ભાગે છે


ચીલીના એક મહાન કવિ પેબ્લો નેરુદાએ ક્યાંક કહ્યું છેઃ ‘આશા કોઇ જ કારણની ઓશિયાળી નથી હોતી અને હકીકતે આશાનાં કોઇ માબાપ હોતાં નથી, દરેક માણસે તેને દત્તક જ લીધી હોય છે.’ જેમણે જેમણે આશા અને ઉમંગના ખજાના ખુલ્લા કર્યા છે તેમણે પોતાના મનના ભંડારો જ માત્ર ખુલ્લા કર્યા છે. આ ખજાનાથી તેમણે ઘણુંબધું મેળવ્યું છે કે ઘણુંબધું નહીં પણ મેળવ્યું હોય.

જેમણે નિરાશાનાં લાખ કારણો વચ્ચે આશાને તદ્દન અકારણ રીતે હૈયાસરસી ચાંપીને જિંદગીનો જંગ ખેલ્યો છે તે જીત્યા છે, અગર બહાદુર માણસની જેમ હાર્યા છે. જેમણે નિરાશાને તાબે થવાનું પસંદ કર્યું તે લડી પણ શક્યા નથી એટલું જ નહીં, આ બંધનમાંથી નાસી છૂટવાની હિંમત પણ કરી શક્યા નથી! નિરાશા ડગલે ને પગલે તેમને શિક્ષા થવાનો ડર બતાવ્યા કરે છે.

નિષ્ફળ જવાની બીકે તમે પરીક્ષામાં બેસતા નથી. લગભગ તમામ નાના-મોટા મુકાબલા ટાળો છો, પણ તમે જ્યારે આ ડરને દૂર કરીને આગળ વધો છો ત્યારે આખી રાત રમત અને તેની મજા બદલાઇ જાય છે. ‘એનિમલ ફાર્મ’ અને ‘૧૯૮૪’ જેવી નવલકથાઓના લેખક જ્યોર્જ ઓરવેલનો એક અનુભવ હમણાં જાણ્યો ત્યારે તે દૃષ્ટાંતકથા કે રૂપકકથા જેવો લાગ્યો.

જ્યોર્જ ઓરવેલે બ્રિટનના સામ્રાજ્યવાદના ઝળહળતા સૂરજના દિવસોમાં ઇમ્પિરિયલ પોલીસ સર્વિસમાં સરકારી નોકરી લીધી અને જુવાન ઓરવેલ બર્મામાં પોલીસ અફસર બન્યો. પાંચ વર્ષ સુધી આ પોલીસમેનની નોકરી કર્યા પછી તેણે રાજીનામું આપ્યું. નક્કી કર્યું કે લેખક થવું છે. પેરીસમાં અઢાર મહિના કાઢ્યા ગરીબી અને બેહાલીની દશામાં! હોટલમાં કપ-રકાબી અને વાસણ માંજનાર તરીકે પણ કામ કર્યું, પછી લંડન આવ્યો. લંડનમાં તેણે લેખક થવાની તાલીમના એક ભાગરૂપે જિંદગીના જુદા જુદા અનુભવો લેવાનું નક્કી કર્યું, આવા ખ્યાલના એક ભાગરૂપે ઓરવેલે જેલમાં જવાનું નક્કી કર્યું!

જ્યોર્જ ઓરવેલને જેલમાં જવું હતું! જેલનો જાત-અનુભવ મેળવવા! જેલમાં જવા માટે શું કરવું? એક મિત્રને તેણે કહ્યું કે ટ્રફાલગર સ્કવેરમાં આગનું તાપણું કરું તો પોલીસ પકડી જાય કે નહીં? મિત્રે કહ્યું કે આગના તાપણાનું તોફાન કરવા માટે પોલીસ કદાચ પકડશે તો પણ જેલની સજા નહીં થાય! જાહેર સ્થળો પર આવા આગના ઉંબાડા જુવાનિયા કરતા હોય છે! ઠપકો આપશે, દંડો મારશે, ભગાડી મૂકશે! બાકી સજા નહીં થાય!
ખરેખર જેલમાં જવું જ હોય તો સાદો અને સીધો રસ્તો ચોરી કરવાનો છે! પણ જેલમાં જવાનો હેતુ સિદ્ધ કરવા માટે એક તમાશારૂપે પણ ચોરી કરવાનું જ્યોર્જ ઓરવેલને પસંદ ના પડ્યું. તેણે તો ટ્રફાલગર સ્કવેરમાં આગનું તાપણું કર્યું! પેલા મિત્રે કહ્યું હતું તેમ પોલીસવાળાઓએ પકડીને છોડી દીધો પણ જેલનો લહાવો ના મળ્યો!

જ્યોર્જ ઓરવેલ વિશ્વવિખ્યાત લેખક પછી બન્યો. એણે ત્રીસ વર્ષની ઉંંમરે વેઠેલી નિષ્ફળતા અને નિરાશાની દશામાં જે જે અખતરા કર્યા તે વખતે તો તેણે આ તખલ્લુસ પણ ધારણ કર્યું નહોતું! તે ત્યારે તો ઇરીક બ્લેર નામનો એક અજાણ્યો માણસ જ હતો પણ જેલનો અનુભવ લેવા માટે તેણે જે પ્રયોગ કર્યો તેમાંથી તેને આટલું જાણવા મળ્યું કે જેની પાછળ પડીએ તે દૂર ભાગે છે!

પીછો પકડીને આ નસાડવાની શક્તિ એક રચનાત્મક બળ બની શકે છે. તમે જ્યારે ખુલ્લી છાતીએ નિષ્ફળતાને બાથ ભરવા તૈયાર થાઓ છો ત્યારે ઘણુંખરું તે તમારી સાથે કુસ્તી કરવા આવતી જ નથી! આવું કેમ બને છે તેનો કોઇ તર્કશુદ્ધ ખુલાસો મળી શક્યો નથી.

એક અગર બીજું બનવાની જે પચાસ-પચાસ ટકાની શક્યતા હોય છે તેનું જ કાંઇક ગણિત અહીં લાભકારક રીતે કામ આપતું જોઇ શકાય. અલબત્ત, આછા-પાતળા અનુમાન તરીકે જ આવો ખુલાસો ચાલી શકે. માણસે સૈકાઓના અનુભવમાં એવું જાણ્યું છે કે કેટલીક ચીજોનો પીછો કરવાથી તે દૂર ભાગે છે અને તમે જ્યારે તેનાથી દૂર ભાગો છો ત્યારે તે તમારી પાછળ દોડે છે!

- ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી ચૂંટેલા લેખસંગ્રહ....

Thursday, 4 June 2015

તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લો


ચીલીના કવિ પેબ્લો નેરુદાનું એક કાવ્ય છે: ‘હું કદાચ તેને ચાહતો હતો, કદાચ હું તેને ચાહતો નહીં હોઉં, પ્રેમ બહુ ટૂંકો હતો પણ તેને ભૂલી જવાની વાત બહુ લાંબી ચાલી!’ 

જુવાન માણસ પોતાની જિંદગીની એક કલ્પનામૂર્તિ ઘડે છે. જિંદગીની આ સ્વપ્નમૂર્તિને તે ચાહે છે. જિંદગીની એ આદર્શ મૂર્તિ અને વાસ્તવિક જિંદગી વચ્ચે અંતર વધતું જ જાય છે. પેલી મૂર્તિથી એ દૂર ને દૂર ચાલ્યો જાય છે. એક વાર એ કલ્પનામૂર્તિને ખૂબ ચાહી હોય છે, પછી તેને ભૂલવા એ કોશિશ કરે છે. પેલી મૂર્તિ વારે વારે તેને યાદ આવ્યા કરે છે અને ભૂલવાની કોશિશ સ્વયં જ વધુ તીવ્ર યાદ બની જાય છે. અડધી જિંદગી વીતી ગયા પછી પણ એ મૂર્તિ વારે વારે મનની ક્ષિતિજ પર વીજળીની જેમ ઝબક્યા કરે છે.

માણસની જિંદગીના આદર્શરૂપ એક હજાર હોઈ શકે છે. જિંદગીના આરંભે માણસ પોતાની જિંદગીની એકસો કલ્પનાકુંડળી કાઢી શકે છે. સેલ્વેડોર ડાલી નામના ચિત્રકારે તેની આત્મકથામાં લખ્યું છે-નાનો હતો ત્યારથી નેપોલિયન બનવાનું સ્વપ્ન હતું. ડાલી ચિત્રકાર બન્યો, નેપોલિયન તો ના બન્યો પણ અંગત સંબંધોમાં, દુનિયા સાથેના સંબંધોમાં તેનો વહેવાર લગભગ નાનકડા નેપોલિયન જેવો લાગે છે. જે કોઈ તેના પરિચયમાં આવે તેને એ પીડા જ આપે છે. બીજાને પીડા આપવામાં તેને કાંઈક વિચિત્ર આનંદ આવે છે. ઘણાબધા જાણ્યે-અજાણ્યે બીજાઓને-પોતાના આપ્તજનો સહિતના તમામ સંબંધીઓને-નાની કે મોટી પીડા આપ્યા કરે છે. પોતાની ઈચ્છા મુજબનો એક હસીન ખ્યાલ પોતાની જિંદગી વિષે ઊભો કરવો તેમાં કાંઈ ખોટું નથી, પણ આ ખ્યાલ જિંદગીના છોડને બાંધી દેનારું એક લોખંડી પાંજરું બની જાય ત્યારે પોતાની જાત સાથે જ એક અથડામણ જાગે છે. કેટલાક નક્કી કરેલા નકશામાં જિંદગીને આલેખી શકે છે, પણ આવું તો બહુ થોડા માણસોની બાબતમાં જ બની શકે. મોટા ભાગના માણસોને તો પોતાની જિંદગી સાથે એવી રીતે કામ પાડવાનું આવે છે કે જાણે રાત કાપવા માટે કોઈ ધર્મશાળામાં અજાણ્યા વટેમાર્ગુ સાથે ગંજીફાની બાજી રમવા બેઠા! માણસ માટે ખાસ વિકલ્પ હોતા નથી અને તેણે પોતાના વિશે કરેલી પૂર્વ-કલ્પના મુજબની રમત તો તે ગોઠવી જ શકતો નથી.

સામાન્ય રીતે માણસ એવો અનુભવ કરે છે કે તેના કિસ્મતે, તેના સંજોગોએ, તેની લાચારીએ તેને બરાબર ડોકમાંથી પકડી લીધો છે અને જ્યાં દોરી જાય ત્યાં દોરાઈ જવું પડે છે! પણ ઈતિહાસમાં કેટલા બધા માણસોએ કિસ્મતની લગામ પોતાની ડોક કે મોંમાંથી કાઢી નાખીને પોતાના કિસ્મત ઉપર જ જાણે ચઢાવી દીધી છે. સર વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓમાં પાણીદાર અશ્વો કુદાવનારા નાયકોનાં રંગ નીતરતાં સાહસો વાંચનારને ખબર નથી હોતી કે વોલ્ટર સ્કોટ નાની ઉંમરે પગ વગરના થઈ ગયા હતા!
સમરસેટ મોમની સરળ અને શબ્દકોશને પૂછવા જવું ના પડે તેવી રીતે વાંચી શકાતી પ્રવાહી શૈલીમાં ભીંજાઈ જનારા માણસને ખબર જ ના પડે કે મોમની પોતાની જીભ તોતડાતી હતી અને બહુ જ લાંબી કષ્ટદાયક કસરત કરીને તેણે પોતાની જીભને ઠીક ઠીક સીધી કરી હતી!

માણસ જ્યારે પોતાના જીવનના આદર્શ ચરિત્રની કલ્પના કરવા બેસે છે ત્યારે ખરેખર તો તે આદર્શ સંજોગોની કલ્પના કરતો હોય છે! આદર્શ સંજોગો કદી સંભવી શકતા નથી એટલે આવા સંજોગોનો વિયોગ અનુભવીને એ રડે છે! પણ કેટલાક માણસો પ્રતિકૂળ સંજોગોની ભુલભુલામણીમાં કેમ આગળ જવું અગર આગળ ન જવાય ત્યારે પણ કઈ રીતે નાસીપાસ ના થવું અને ટકી રહેવું તેનો જ ખ્યાલ કરીને પોતાની જાતને ઘડે છે.

આવો માણસ જિંદગીના ફળનાં જે કંઈ રસ-કસ છે તે ઠીક અંશે પામે છે. પાકી લીંબોળીની પણ એક મીઠાશ છે પણ પાકી લીંબોળી મોંમાં હોય ત્યારે દ્રાક્ષના વિચાર કરીને અને દ્રાક્ષ મોંમાં આવે ત્યારે પાકી લીંબોળીનો વિચાર કરીને કેટલાક મજા મારી નાખે છે. જિંદગી જેમ જેમ ઉકેલાતી આવે તેમ તેમ તેનું ભરતગૂંથણ કરવું તેમાં મજા છે, પણ જિંદગીના આ તાણાવાણા સુતરાઉ કાપડના નહીં, રેશમના હોત તો સારું હતું, તેના વસવસામાં સુતરાઉની શોભા ખોઈ બેસવાનો કંઈ અર્થ નથી. 
- લેખકના પુસ્તકમાંથી

Sunday, 24 May 2015

દેખાવ પરથી નહીં, ગુંજાશ પરથી માણસનું માપ નીકળે

એક સીધોસાદો દેખાતો ડૉક્ટર આપણી સામે ઊભો હોય ત્યારે શસ્ત્રક્રિયાના એ નિષ્ણાતની, તેની કાબેલિયતની કોઈ બાહ્ય નિશાની આપણે પકડી શકતાં નથી! અબ્રાહમ લિંકનને જોઈ વિચાર આવે કે, આ ગરીબ અને ગાલ બેસી ગયેલો, બહુ દેખાવડો નહીં તેવો માણસ ગુલામોનો મુક્તિદાતા હતો? આલ્બર્ટ આઇન્ટાઇનનાં અવ્યવસ્થિત વાળ અને કપડાં, એનું ભુલકણાપણું અને તેની રીતભાત જોઈને સવાલ થાય કે આ જ મહાન વૈજ્ઞાનિક?

 માણસનો દેખાવ, તેનું સ્થૂળ વ્યક્તિત્વ, તેનાં બાહ્ય લક્ષણો કે તેના જીવનની ‘હકીકતો’ સાથે તેના આત્મબળનો, તેની સર્જનશક્તિનો, તેનાં કૌશલ અને વિદ્યાનો, તેનાં ખમીર અને હિંમતનો કોઈ તાળો મળતો નથી અને છતાં આપણે સતત તેનો મેળ બેસાડવા મથ્યા કરીએ છીએ! કોઈ રહસ્ય હાથમાં આવતું નથી, કોઈ ચાવી જડતી નથી! આપણને લાગે છે કે, કંઈક ચમત્કાર જેવું બન્યું છે! ટોલ્સ્ટોયને નેપોલિયન સમજાતો નથી. તે બધો ખુલાસો નેપોલિયનના જમાનાના સંજોગો અને ઘટનાઓમાં શોધે છે! માંડ પાંચ ફૂટનો આ માણસ યુરોપને ધ્રુજાવી શકે તે વાત માની શકાતી નથી! આજે પણ જર્મનીના એડોલ્ફ હિટલર અંગે આવી જ લાગણી થાય છે! એક ગરીબ, ધૂની અને રેલવે ગાર્ડ જેવો લાગતો માણસ શી રીતે ‘હિટલર’ બન્યો? પોણા ત્રણ વર્ષ સુધી તેણે આ યુરોપ ઉપર પોતાનો ઝંડો શી રીતે ફરકતો રાખ્યો?

આપણે સવાલો કરતા રહીએ છીએ, પણ આપણે સાથે ભૂલી જઈએ છીએ કે, અણુનાં કદ અને આકૃતિ પરથી તેની અમાપ શક્તિનો અંદાજ આંગળીના વેઢાની સીધી સાદી ગણતરીથી કાઢવાનું શક્ય જ નથી! એક નાનકડું પંખી તેના નાનકડા કદ પરથી સાબિત કરી શકે તેમ જ નથી કે તે આકાશની કેટલી ઊંચાઈ અને કેટલો પંથ સર કરી શકે છે. એક નાનકડા જીવડાની કૂદકો મારવાની શક્તિ જમીન પરના તેના રંગઢંગ જોઈને કલ્પી પણ શકાતી નથી! મહાન શક્તિનું આસન એક રાઈ જેટલું કે એક બિંદુ જેટલું નાનકડું હોઈ શકે છે એટલે વાત માણસની હોય કે ગમે તેની, તેના દેખાવ પરથી નહીં, તેની ગુંજાશ પરથી જ તેનું માપ નીકળી શકે! એક સામાન્ય દેખાવનું, દૂબળું-પાતળું સાધારણ બુદ્ધિનું બાળક આગળ ઉપર એક સમર્થ વ્યક્તિ બની જાય એવું શક્ય છે!

 માણસના ઉપલક દેખાવ અને તેના આંતરિક દૈવતને કોઈ સંબંધ છે કે નહીં, હોય તો શું સંબંધ હશે તે કળવું કે કહેવું મુશ્કેલ છે. દેખાવ પરથી અંદાજ બાંધવો નહીં તે જ ડહાપણભર્યું છે. વધુ આગળ જઈએ તો એમ કહી શકાય કે, માણસે ખુદ પોતાની ‘લઘુતા’ અને ‘લાચારી’ પરથી પોતાનામાં કંઈ જ નહીં હોય તેવું માની લેવાની જરૂર નથી. એવું બને છે કે, કેટલાક માણસો મોરની જેમ ધરતી ઉપર રૂપાળા લાગે છે - તેમનાં રંગીન પીંછાંની શોભા ચિત્ત હરી લે છે, પણ આ મોર આકાશમાં ઊંચે ઊડી ન શકેે! ધરતી ઉપર દમામ વગરનું લાગતું કોઈ પંખી આકાશમાં કોઈ નવું જ વ્યક્તિત્વ પ્રગટ કરી દે તેવું બને છે. આ પૃથ્વી પર સૌથી મોટી વૈજ્ઞાનિક શોધ ‘જીવન’ની છે અને જીવન એટલું વ્યાપક અને વિસ્મયકારી છે કે તેનાં પરાક્રમોને પામવાનું, તેની ગુંજાશને માપવાનું માણસની તાકાતની બહારનું છે! નરી આંખે નહીં દેખાતાં એક સૂક્ષ્મ જંતુમાં ‘મોત’નો પયગામ હોઈ શકે છે અને એવી જ રીતે એક સૂક્ષ્મ કણમાં પ્રાણ આપવાની શક્તિ પણ હોઈ શકે છે! માણસનો પોતાનો અરીસો પોતાની અંદર જ છે અને એ અરીસામાં તે વધુ ઊંડી નજરે કશુંક શોધી શકે છે અને જાહેર પણ કરી શકે છે. બહારના દેખાવ ઉપર આપણે બહુ વારી જઈએ છીએ એટલે અંદરની સજ્જતાની ઝાઝી સમજ પડતી નથી!

આવી સજ્જતા બહાર પડીને પોતાનો કંઈક ‘રંગ’ દેખાડે ત્યારે આપણું મોં આશ્ચર્યથી ફાટી જાય છે! કાળી માટીનો આ ઘાટઘૂંટ વગરનો એક પિંડ આટલી બધી શક્તિનો પાતાળકૂવો કેવી રીતે હોઈ શકે? મૂળ કોઈક પર્વતમાં છે અને પર્વત ગમે તેટલો ઊંચો હોય તો પણ નદી છેવટે જ્યાં પહોંચે છે તે દરિયાનો પરિચય પર્વત આપી શકે તેમ નથી.

ભૂપત વડોદરિયાના લેખસંગ્રહમાંથી પસંદ કરેલા લેખો.....

Saturday, 23 May 2015

અજાણ્યો આરંભ ને અજાણ્યો અંત આ કેવી કથા? - ભૂપત વડોદરિયા

આપણે નાના હોઇએ છીએ ત્યારે થાય છે કે જલદી જલદી મોટા થઇ જઇએ અે મોટા થઇએ પછી થાય છે કે ફરી પાછા નાના બની જઇએ! એક અમેરિકન વાર્તાકારે આ શબ્દોમાં એક પાત્રના મુખે જિંદગીની અબૂઝ પ્યાસને જાહેર કરી છે. કોઇ પણ માણસ પોતાનો અનુભવ તપાસવા બેસે તો તેને આ વિધાનનું તથ્ય મનમાં વસ્યા વગર ના રહે. એક બાળકને જલદી જલદી મોટા થઇ જવાની તાલાવેલી હોય છે. એક બાળકના ઉછળતા હાથ પગમાં સતત આ ઝંખના પ્રગટતી રહે છે. એક બાળક પોતાના જન્મદિવસની આગલી રાતે માતાને કહે છે. 'મા, કાલે હું સાત વર્ષનો થઇ જઇશ, મારા કપડાં મને ટૂંકા નહીં પડે? આવતી કાલે મારા જન્મદિવસે મારે દરજીને ફરી માપ આપવું છે અને નવાં કપડાં કરાવવા છે!' બાળક સતત વધે છે અને છતાં તેની આવી વૃદ્ધિ વહેતાં નીરની જેમ આગળ ધપતી હોય છે. તેમાં કોઇ છલાંગ મારવા જેવું હોતું નથી અને પગથિયાં નથી. એક સળંગ પ્રવાહ છે. બાળક કિશોર બને ત્યારે જુવાન થવા ઝંખે છે. પુખ્ત થવા ઇચ્છે છે અને પછી તે પાછો વળવા માગે છે - તે જાણે છે કે પાછા વળી શકાય તેવું નથી. આ તો એકમાર્ગી પ્રવેશ છે. પાછા જઇ શકાય જ નહીં છતાં તેને થાય છે કે ફરી બાળક બની શકું તો કેટલું સારું! એ બાળક તો બની શકતો નથી પણ બાળપણની અને કિશોરકાળની પળોને ફરી ફરી યાદ કરે છે. વાગોળે છે અને શૈશવ અને કૈશોર્યને એ રીતે ફરી ફરીને જીવે છે.

એક માણસ ચાલીસી વટાવી દે પછી કિશોરકાળના, યૌવનકાળના ખંડો ફરી સંભારવા લાગે છે. પોતાની સાથે અમુક ગામની શાળામાં ભણતો હતો તે બાળક અત્યારે ક્યાં હશે? એનું શું થયું હશે? પોતાની સાથે અમુક શહેરની શાળામાં સાથે ભણતો હતો તે કિશોર ક્યાં ગયો? કોલેજમાં જે સાથે હતો તે યુવાનનું શું થયું? કોઇ પણ માણસ પોતાના બાળપણના - કિશોરકાળના અને યૌવનકાળના સમવયસ્કોની જિંદગીની વાત જાણે ત્યારે વિચારમાં પડી ગયા વગર રહેતો નથી.

દરેક માણસ જિંદગીની કોઇને કોઇ પળે એવા સવાલ કરે છે - મારી સાથે ભણતા હતા કે કારકિર્દીની શરૂઆતમાં મારી સાથે નોકરી કરતા હતા તે ભાઇનું શું થયું? આપણને ઘણીવાર આવો સવાલ થાય છે - એ માણસનું શું થયું? આવી દરેક પૃચ્છામાં જે અધૂરી જીવનકથા સાંભળવા મળે છે તે સાંભળીને આપણને એવી લાગણી થાય છે કે આ તો તદ્દન ઢંગધડા વગરની વાર્તા જ છે! આમાં બહુ જ થોડી કથાઓમાં કાવ્યનો કે નાટકનો ન્યાય નજરે પડે છે. બાકીની કથાઓમાં તો કોઇ પ્રતીતિકર અંત પણ હોતો નથી.

એક માણસ દારુણ ગરીબી વચ્ચે જન્મ્યો. માંડ માંડ ભણ્યો, અજાણ્યા માણસોની મદદથી અને મહેનત કરીને કોલેજમાં ગયો. ભણતર પૂરું કરીને નોકરીએ લાગ્યો. પાંચ વર્ષ કાળી મજૂરી કરીને પાંચ પૈસા પામ્યો. પછી પરણ્યો. પછી તેણે રાત દિવસ એક કરીને દશ વર્ષ સુધી નાનકડા પાયા પર સ્વતંત્ર કામકાજ કર્યું. તેણે છેવટે એક નાનકડું કારખાનું કર્યું. પાંચ વર્ષ સુધી આ કારખાના પાછળ લોહીપાણી એક કર્યાં. કારખાનું એક માંદા આશ્ચિત જેવી જવાબદારી મટીને કમાઉ દીકરા જેવું બને તે પહેલાં તે માણસ કેન્સરનો ભોગ બન્યો, બેત્રણ મહિનામાં તો તે મૃત્યુ પામ્યો. પુત્ર માંડ દશ વર્ષનો છે. પુત્રી માંડ સોળ વર્ષની છે. ૫૦ વર્ષની ઉંમરે પણ નહીં પહોંચેલો માણસ જ્યારે આમ ઓચિંતા ચાલ્યો જાય છે ત્યારે તેનું જીવન અધૂરી વાર્તા જેવું લાગે છે. એ માણસનું શું થયું? એવો પ્રશ્ન બદલાઇ જાય છે. અમુક માણસની પત્નીનું કે તેના બાળકોને શું થયું? એવો સવાલ આગળ આવે છે? જિંદગીની સાંભળવી ગમે તેવી વાર્તામાં તો ઉપાડ, મધ્ય અને અંત વ્યવસ્થિત હોવાની ધારણા જ આપણે રાખીએ છીએ. એક માણસ ગરીબીમાંથી આગળ આવે, કંઇક નામ કાઢે બે પૈસા પામે, કુટુંબનું સુખ પામે અને તેના સંતાનો ઘર કે ધંધાની જવાબદારી ઉઠાવી શકે તેમ હોય ત્યારે જ તે માણસ તખ્તા પરથી દૂર થાય. એથી યે વધુ સારી વાત એ કે તે નિવૃત્તિના શાંત નિરુપદ્રવી જીવનના ઓશિકે તેના સફેદ વાળનું માથું ગોઠવી શકે. સમરસેટ મોમે કહેલું છે કે, પંચાવન સાઠ વર્ષની ઉંમરે જ્યારે જ્યારે કોઇ મિત્ર કે સંબંધી કે ઓળખીતાનાં મૃત્યુના ખબર મળતા ત્યારે જાણે એ વ્યક્તિના મને ભણકારા વાગવા માંડતા. જાણે એ વ્યક્તિ મને કાનમાં કહેતી હતી.  'હું તો તૈયારી વગર જાઉં છું! તમે તૈયારી રાખજો!' વિદાય થતી દરેક વ્યક્તિના મોમાં આવા જ શબ્દો આપણે વાંચી શકીએ છીએ અને હકીકત એ છે કે, દરેકને તૈયારી વગર જ ઉપડી જવાની સ્થિતિમાં મુકાઇ જવું પડે છે. આ દુનિયામાંથી હંમેશ માટે ચાલ્યા જતાં પહેલાં તૈયારી કરવાની હોય તો પણ કેવી તૈયારી કરવી? કોઇ એનો નિર્ણય કરી શક્યું નથી. 

કોઇક આવતા જન્મની તૈયારી કરવાનું કહે છે. કોઇ મૃત્યુ પછીનાં જીવનની તૈયારીમાં કંઇ કચાશ નહીં રાખવાનું કહે છે. મોટા ભાગના માણસો પોતાની સાંસારિક જવાબદારીઓ અને લાગણીના કરજની પતાવટની દૃષ્ટિએ જ આવી તૈયારીનો વિચાર કરે છે. પૈસે ટકે સુધી અને લાઇનસર સંતાનો મૂકીને જનારા માણસને અંજલિ રૂપે એવું કહેવામાં આવે છે કે, એ માણસ તો લીલી વાડી મૂકીને ગયો. દીકરા લાઇનસર છે, દીકરીઓ સાસરે સુખી છે. દીકરા અને દીકરીનાં બાળકો પણ જોયાં. બધું જ સુખ જોયું - એ તો સુખની વચ્ચે ગયો એટલે ઓર સુખી થઇ ગયા - એમ જ સમજવાનું! આવા 'સદ્ભાગી' માણસોની સંખ્યા ઓછી જ હોય છે. મોટા ભાગના માણસો તો સુખ-દુઃખનું એક જ પોટલું મૂકીને અને એક જ પોટલું લઇને જાય છે! કોઇ પોતાનાં કુટુંબીજનો સ્વજનોના જીવનમાં એકલાં સુખ કે એકલાં દુઃખ મૂકીને જઇ શકતું નથી કેપોતે પણ આવું કોઇ ચોખ્ખું સુખ કે નિર્ભેળ દુઃખ લઇને જતું નથી! થોડીક જ જિંદગી એક સ્વતંત્ર વાર્તા તરીકે ચાલે તેવી હોય છે - મોટા ભાગની જિંદગીઓ તો એક સળંગ અનંત વાર્તાના પ્રકરણથી વધુ કાંઇ હોતી નથી.

એક માણસ પોતાના પુત્રને ત્રણ કે સાત વર્ષનો મૂકીને મરી જાય છે. પાંત્રીસ-ચાલીસ વર્ષની તેની જિંદગીમાં ખાસ કાંઇ બન્યું જ હોતું નથી. દુનિયાની નજરે તેનું જીવન લગભગ એક અજાણ્યાં માણસના આગમન અને વિદાય જેવું લાગે છે. એ માણસનો પુત્ર કાંઇક એવુ કરે છે. કંઇક એવી સિદ્ધિ મેળવે છે. કંઇક એવી કીર્તિ મેળવે છે કે પેલા અજાણ્યા માણસની કબર કે તેનાં સ્મૃતિચિન્હો પર પ્રકાશનો ધોધ પડે છે - ભૂતકાળના ભોંયરામાં પડેલી મૂર્તિઓને જાણે નવ વાચા અને નવું તેજ મળે છે! આલ્બેર કામુનો પિતા, સમરસેટ મોમની માતા, અબ્રાહમ લિંકનની અપર માતા, લેનિનનો મોટો ભાઇ, મહાકવિ ગેટેની પ્રેયસી, ઇ. એમ. ફોસ્ટરનો મુસ્લિમ દોસ્ત - પાનાનાં પાનાં ભરાય એટલાં અજાણ્યાં નામો તવારીખની નોંધપોથીમાં આદરપૂર્વક પ્રવેશ પામે છે.

માણસ આવે છે અને જાય છે. જીવનનાં નીર તો વહેતાં જ રહે છે. માણસની નજર પાછળ પણ પહોંચતી નથી અને આગળ પણ પહોંચતી નથી. એક સામાન્ય સૈનિકમાંથી સેનાપતિ અને શહેનશાહ બનેલા નેપોલિયને પોતાની વંશાવળીની ખોજ કરેલી. આજે તો કોઇને સાત પેઢીનાં નામ પણ યાદ રહે તેવું નથી. પણ પંદર પેઢીના નામથી વધુ પાછળ માણસ પોતાના વડદાદાઓની ખોજમાં પડે ત્યારે તેને પોતે કેવા પરપોટા પર બેઠો છે તેનો વહેમ તરત જ પડી ગયા વગર રહેતું નથી. માણસ પોતાના મનનો, લાગણીઓનો, બુદ્ધિનો, તબિયતનો, જરાક વધુ વિચાર કરે ત્યારે તેને તાજુબી થાય છે, આખી જિંદગી નેપોલિયનને કબજિયાતની પરેશાની રહી હતી અને હંમેશાં તેને વિચાર આવ્યા જ કરતો કે, આ બધું ક્યાંથી અને કોનું વારસામાં આવે છે? દૂર દૂરના કોણ જાણે કયા હિમાલયમાંથી નીકળેલું જિંદગીનું એક ઝરણું આજે મારું નામ ધારણ કરીને અમુક આંગણામાં ઊતર્યું છે. માણસનું નામ બદલાય છે, પણ જિંદગીનું ઝરણું તો આગળ જાય છે. કોઇ ઝરણાંને યાદ નથી કે તેણે જોયેલા પર્વત અને જંગલનો સારો નકશો શું છે.

હમણાં એક માણસની મુલાકાત થઇ. સ્થાન, માન અને નામના પ્રાપ્ત કરી ચૂકેલી આ વ્યક્તિએ કહ્યું, "આ બધો પ્રતાપ મારા પિતાની મિત્રતાનો છે. એ મિત્રને કોઇ સંતાન નહોતું પણ મારા જેવા કેટલાક સંતાન તેમને હતા. મારા બાળકો જ્યારે જ્યારે પોતાના દાદા વિષે કંઇ પણ પૂછે છે ત્યારે હું કહું છું કે દાદાનું માન તમારે સરખા ભાગે બે વ્યક્તિ વચ્ચે વહેંચવું પડશે. મારા પિતા અને મારા પિતાના મિત્ર."

એક દુઃખી માણસ કહે છે, "મને થોડુંક સુખ આપો! એક દિવસની રાજગાદી જેટલું સુખી આપો! મને આજે થોડીકવાર રાજા બનવા દો! પછી હું રંકનો મારો પોશાક પહેરી લઇશ!"

એક સુખી માણસ કહે છે, "હું તો ભગવાનને કહું છું સુખ બહુ આપ્યું થોડુંક દુઃખ આપ, જેથી તને બરાબર યાદ કરી શકું! પણ થોડુંક જ દુઃખ આપજે - પછી મારી સુખની ચાલુ સ્થિતિમાં પાછો મૂકી દેજે!"

પણ સુખ કે દુઃખ માગવાથી મળતાં નથી. આમાં કોઇની ફરમાયશ ચાલતી નથી. એટલે મહાત્મા થોરો કંઇક આવું કહે છે - માત્ર પોતાનું નાનકડું સુખ કે, દુઃખ ગાંઠે બાંધીને જીવવાનો અર્થ નથી. હળદરના ગાંઠિયે ગાંધી ના થવાય! સમગ્ર રીતે જિંદગીનો શમિયાણો જુઓ - જિંદગીનો સળંગ તાકો તપાસો - જીવવાની મઝા તો જ પડશે!

ભૂપત વડોદરિયાનાં પુસ્તકમાંથી

Thursday, 19 February 2015

ભૂપત વડોદરિયાઃ મહેનતકશ પત્રકારની પરમ સંતુષ્ટી - સમભાવ ગ્રુપ















પત્રકારત્વના આદર્શો અને આયામોને અક્ષુણ્ણ રાખીને વ્યાવસાયિક સફળતાનો માર્ગ સ્વાભાવિક પણે અને અનાયસ રીતે પ્રશસ્ત બને એ જ ઇચ્છનીય રહ્યું છે. પત્રકારત્વના આ મુકામે સમભાવ મીડિયા ગ્રુપ ભૂપત વડોદરિયાને સાદર શ્રદ્ધા સુમન અર્પણ કરે છે...

માતાના શબ્દો... 'હાથ પર લીધેલા કામને કોઈકની ખોટ કે તેના શોકનું કારણ આગળ ધરીને છોડવું ન જોઈએ. એ રીતે વિચારવું એ પણ આત્મહત્યા છે.' આ શબ્દોએ 'સમભાવ' દૈનિકને આફતની અનેક ક્ષણોએ વિસર્જનના વિચારમાંથી ઉગારી લીધું...
---

અખબારના કેન્દ્રમાં વાચક રહેવો જોઈએ. આ વાચક ક્યાંય પાનાના છેવાડે પણ શોધ્યો ન જડે એવી પત્રકારત્વની સ્થિતિ તેમને માટે ચિંતાનું કારણ હતી...

---
ભૂપતભાઈ વડોદરિયાના જીવનનો મહત્ત્વનો વળાંક અને આખરી પડાવ એટલે 'સમભાવ' દૈનિકનો આરંભ. કોઈ અખબારની શરૃઆત અને તેના અસ્તિત્વમાં માતાના આશીર્વાદ પડેલા હોય તો એ 'સમભાવ' છે. દૈનિક અખબારને ચલાવવું એ અત્યંત કઠિન કામ છે, તેનો અનુભવ 'સમભાવ' શરૃ કર્યા પછીના સમયમાં ડગલે ને પગલે ભૂતપભાઈને થતો રહ્યો. ભૂપતભાઈના જીવનનો આદર્શ જ માતુશ્રી ચતુરાબહેન હતાં. 'સમભાવ' શરૃ કર્યાના ત્રણેક મહિનામાં જ માતુશ્રીનું અવસાન થયું ત્યારે એ અવસાદગ્રસ્ત અવસ્થામાં ભૂપતભાઈને એવો વિચાર પણ આવી ગયેલો કે, જો માતુશ્રી હયાત ન હોત તો કદાચ તેમણે 'સમભાવ' શરૃ કરવાનો વિચાર પડતો મૂક્યો હોત. આવા વિચાર પછી તત્ક્ષણ ભૂપતભાઈને માતાના શબ્દો યાદ આવે કે...'તને હું કહું છું કે તારું છાપું ચાલશે. બહુ દોડાદોડ નહીં કરે તો પણ થોડા સમયમાં સ્થિર થઈ જશે.' માતાના આશાવાદના આ આશીર્વચન 'સમભાવ'ના સંચાલનમાં ભૂપતભાઈ માટે આશાનું કિરણ બની રહ્યા. કપરી મુસીબતોમાં આ શબ્દો દીવાદાંડીની ગરજ સારતા. માતાનાં મૃત્યુના આઘાતની એ વસમી ક્ષણોમાં તેઓ યાદ કરતા... 

તેમની માતાના શબ્દો... 'હાથ પર લીધેલા કામને કોઈકની ખોટ કે તેના શોકનું કારણ આગળ ધરીને છોડવું ન જોઈએ. એ રીતે વિચારવું એ પણ આત્મહત્યા છે.' આ શબ્દોએ 'સમભાવ' દૈનિકને આફતની અનેક ક્ષણોએ વિસર્જનના વિચારમાંથી ઉગારી લીધું, એટલું જ નહીં તો જાણે માતાના આશીર્વાદ સાક્ષાત્ સાકાર બની રહ્યા હોય તેમ 'સમભાવ' એ માત્ર એક દૈનિક ન રહેતાં તેની સાથે અન્ય પ્રકાશનો અને મીડિયા માધ્યમો ઉમેરાતા ગયાં. ભૂપતભાઈએ તેમની હયાતીમાં જ 'સમભાવ'ને એક મજબૂત અખબારી જૂથ અને સતત પોતાની ક્ષિતિજોને વિસ્તારતી મીડિયા સંસ્થા તરીકે, મીડિયા ગ્રુપ તરીકે નિહાળ્યું. એક મહેનતકશ પત્રકાર તરીકે એ તેમના જીવનની પરમ આનંદ અને સંતુષ્ટીની ક્ષણો હતી એ તેમની સાથેના આખરી દિવસોના સંવાદોમાં નિહાળી છે.


મહેનતકશ પત્રકાર. હા, ભૂપતભાઈ 'સમભાવ' દૈનિકના માલિક-તંત્રી બન્યા ત્યારે પણ પોતાને એ રીતે ઓળખાવાનું પસંદ કરતા હતા અને મહેનતકશ પત્રકાર તરીકેની તેમની દિનચર્યા માલિક-તંત્રી તરીકે પણ યથાવત્ રહી. સવારમાં ઓફિસમાં આવી જવાથી લઈને લેખનકાર્યને ચાલુ રાખવાની સાથે 'સમભાવ'ના તંત્રી વિભાગની રોજિંદી કામગીરીની રજેરજની જાણકારી અને તેમાં તેમની સક્રિય સામેલગીરી છેક મોડી રાત્રે અખબારની નકલ પ્રિન્ટ થઈને હાથમાં આવે એટલે તેના પર નજર કરીને તેની સિટી આવૃત્તિમાં જરૃરી સુધારાની સૂચના સાથે દિનચર્યા પૂર્ણ થતી. કવિ નર્મદનું 'દાંડિયો' અને મહાત્મા ગાંધીના 'હરિજન બંધુ'ને આદર્શ તરીકે નજર સમક્ષ રાખીને લોકજાગૃતિ, લોક શિક્ષણ અને અભિપ્રાય કેળવણીના પાયાનાં કાર્યો અખબારો વિસરી ગયાં છે, તેને આગળ ધપાવવાનો ઉપક્રમ 'સમભાવ' દ્વારા થતો રહેવો જોઈએ, આવી સ્પષ્ટ સંકલ્પના અખબાર શરૃ કરવાના વિચારમાં પડી હોય ત્યારે એ તેના ઉદ્દેશોમાંથી વિચલિત ન થાય એ સ્વાભાવિક છે. અખબારના કેન્દ્રમાં વાચક રહેવો જોઈએ. આ વાચક ક્યાંય પાનાના છેવાડે પણ શોધ્યો ન જડે એવી પત્રકારત્વની સ્થિતિ તેમને માટે ચિંતાનું કારણ હતી. 

 'સમભાવ'ના આરંભની ક્ષણોએ ભૂપતભાઈએ આવું ગહન ચિંતન કર્યું હતું. સ્વાભાવિક રીતે જ આ પ્રકારે અવતાર ધારણ કરનાર અખબાર એ માત્ર વ્યાવસાયિક સફળતા પાછળ દોટ ન મુકે. 'સમભાવ'ની નિયતિ પણ એવી જ રહી. પત્રકારત્વના આદર્શો અને આયામોને અક્ષુણ્ણ રાખીને વ્યાવસાયિક સફળતાનો માર્ગ સ્વાભાવિક પણે અને અનાયસ રીતે પ્રશસ્ત બને એ જ ઇચ્છનીય રહ્યું છે. પત્રકારત્વના આ મુકામે સમભાવ મીડિયા ગ્રુપ ભૂપત વડોદરિયાને સાદર શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. 

tarundattani.abhiyaan@gmail.com