Monday 20 July 2015

તમારી સામેના આક્ષેપ જુઠ્ઠા હોય તો બેચેન બનવાની જરૂર નથી


એક સુખી ગૃહસ્થને એક વાર ખબર પડી કે, તેમના સંબંધી તેમને સમાજમાં હલકા પાડવાની વ્યવસ્થિત પ્રવૃત્તિ કરતાં રહે છે. થોડાક દિવસ તો એ ગૃહસ્થ એક પ્રકારની માનસિક ઉત્તેજનામાં રહ્યા અને પોતાને સમાજમાં હલકા પાડવાની પ્રવૃત્તિ કરનારી વ્યક્તિની હિલચાલ ઉપર સતત નજર રાખતા રહ્યા. તેમની આવી પ્રવૃત્તિના પુરાવાઓ પણ શોધતા રહ્યા. પછી એક દિવસ તેમણે આ બાબતને મન ઉપરથી દૂર કરી નાખી. તેમના એક મિત્રએ પૂછ્યુંઃ ‘તમે કેમ એકદમ પાછા હટી ગયા? તમને બદનામ કરવાની પ્રવૃત્તિ કરી રહેલા તમારા સંબંધીનો બરાબર સામનો કરવાનો ખ્યાલ તમે કેમ છોડી દીધો? 

બે માણસો વચ્ચે લડાઈ થાય અને કડવાશ વધે તે જોવામાં મને રસ છે તેમ તમે માનશો નહીં, પણ આ જાતની પ્રવૃત્તિ અંગે મારી માન્યતા એવી છે કે, આવા માણસો પ્રત્યે આંખ આડા કાન કરવાથી સરવાળે એવું બને છે કે, આવા માણસો ફાવી જાય છે. તેમની આ પ્રવૃત્તિ વધુ ફાલેફૂલે છે અને આવા માણસો બેધડક અને કશા વળતા પ્રતિકારની ભડક વગર આગળ વધતા રહે છે, ત્યારે સારા માણસને જ સમાજમાં નુકસાન થાય છે. શરૂઆતમાં તમે આ પ્રવૃત્તિને ગંભીર ગણી હતી, પણ પછી તમે એ પ્રવૃત્તિ પ્રત્યે બેધ્યાન બની ગયા. આ તમે ઠીક ન કર્યું, તમે આવું કેમ કર્યું? શું તમે તેનાથી ડરી ગયા?’ થોડીક વાર ચૂપ રહીને ગૃહસ્થે જવાબ આપ્યોઃ ‘તમારા દૃષ્ટિબિંદુની હું કદર કરું છું. 

ખરેખર અગાઉ મારું દૃષ્ટિબિંદુ પણ તમારા જેવું જ હતું, પણ થોડાક અનુભવે અને વધુ તો આ બાબતનો પૂરેપૂરો વિચાર કરતાં મને આવું લાગ્યું છે કે, આવી બાબતોમાં પુરાવાઓ ભેગા કરવા કરતાં આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનું વધુ ડહાપણભર્યું હોય છે. એક માણસની બદનામી કરવાની પ્રવૃત્તિ બીજો માણસ કરે ત્યારે એ બીજા માણસની પ્રવૃત્તિ ચોક્કસ નિંદાપાત્ર છે, પણ બદનામી કરનારને બદનામ કરવાની પ્રવૃત્તિ પોતાને નિર્દોષ માનનારો માણસ પણ હાથ ધરે ત્યારે તેની એ પ્રવૃત્તિ પણ અનિચ્છનીય બની રહે છે. તમારી સામેના આક્ષેપોમાં તમને કંઈ પણ તથ્ય લાગતું હોય તો તમારા માટે વધુ સારો રસ્તો તમારી એ ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાનો છે. કેટલીક વાર આપણે આપણી કેટલીક ત્રુટિઓ જાણતા હોઈએ અને છતાં તે દૂર કરવાની સ્થિતિમાં ન હોઈએ એવું પણ બને છે. આવા સંજોગોમાં આપણી ત્રુટિઓ અને આપણી મર્યાદા સમજવાની અને સ્વીકારવાની જરૂર હોય છે. એક અગર બીજા પ્રકારની નિંદા કરનારાઓ પ્રત્યે આપણે અસહિષ્ણુ બનીએ છીએ અને ઉશ્કેરાઈ જઈએ છીએ તેનું કારણ એ જ હોય છે કે, આપણી ખામીઓ અને મર્યાદાઓ સ્વીકારી શકતા નથી. આપણને તેની જાણ હોય છે અને બીજાને તેની જાણ ન થાય તેવા હેતુથી આપણે તેને ઢાંકવા મથીએ છીએ.

રખે કોઈ માને કે આવા આક્ષેપો જાહેર જીવનમાં પડેલાઓની સામે જ થાય છે. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સહિત અનેક ધર્માત્મા-મહાત્માઓ વિશે આવા આક્ષેપો થયા છે. મોટા ભાગે આવા ધર્માત્માઓ સામે એવો આક્ષેપ બહુ જ પ્રચલિત છે કે, તેમનું મગજ ચસકેલું હતું! તેઓ મનોરોગી હતા!

સામાન્ય માણસ તો બિચારો બાંધી મુઠ્ઠી લાખની ગણીને બેઠો હોય છે. આજીવિકા કમાવા માટે પરસેવો પાડતો હોય છે, આબરૂભેર પોતાનો વહેવાર ચલાવવા સતત તાણીતાણીને છેડા બાંધતો હોય છે. આવા માણસની સામે જીભનું ઝેર ફેલાવવામાં આવે ત્યારે તેની દશા શું થાય? તેણે પોતાના મનની શાંતિ શી રીતે ટકાવી રાખવી? તેણે પોતાનું મોં બીજાઓને બતાવવાની હિંમત શામાંથી ઊભી કરવી?

છેવટે અમુક માણસ શું માને છે, અગર શું કહે છે તે તમારા માટે એટલું મહત્ત્વનું નથી. સૌથી વધુ મહત્ત્વનું તો એ છે કે, તમે તમારા વિશે શું માનો છો? તમારી સામેના આક્ષેપો તમે તદ્દન જૂઠા માનતા હો તો તમારે એટલા બેચેન બનવાની જરૂર નથી. 

( ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી પસંદ કરેલા લેખસંગ્રહ )

No comments:

Post a Comment