મહાન
વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને એની જિંદગીનાં છેલ્લાં ત્રીસ વર્ષ આ વિશ્વનાં તમામ રહસ્યો
સમજાવી આપે તેવા કોઈ એક જ સિદ્ધાંતની ખોજ કરી - 'થિયરી ઓફ એવરીથિંગ' - દરેક ઘટનાને સમજાવી શકે તેવી એક ગુરુચાવી. એક એવો સિદ્ધાંત
જેમાં બધા જ નિયમો ચંદરવામાં જડેલા આભલાની જેમ સુસંગત રીતે ગોઠવાઈ જાય.
આઇન્સ્ટાઇનને
આવા કોઈ એક જ સિદ્ધાંતની ખોજ કરવામાં સફળતા મળી નહિ. હજુ આ ખોજ પૂરી થઈ નથી અને આજે પણ એક
અગર બીજા પ્રકારના જુદા જુદા નિયમોના સ્વતંત્ર વર્ચસ્વ હેઠળ જાણે આ બ્રહ્માંડ ચાલતું
હોય એવી છાપ પડે છે. વિજ્ઞાની આઇન્સ્ટાઇન પછી કોઈક એક જ સર્વોપરી
- સર્વવ્યાપક સિદ્ધાંતની ખોજ એક બીજા માણસે હાથ ધરી છે. એ વિજ્ઞાની બ્રિટનનો છે અને એનું નામ સ્ટીફન હોકિંગ છે. સ્ટીફન હોકિંગ પાસે આવી મુશ્કેલ ખોજ હાથ ધરવાની યોગ્યતા શું? આમ જોઈએ તો તેની સૌથી મોટી યોગ્યતા તો તેનું દૃઢ મનોબળ કહેવાય. આ વૈજ્ઞાનિક પાસે સૌથી મોટી મૂડી તેનું મન છે. બીજા કોઈ
માણસની જિંદગીમાં આવી દુર્ઘટના બની હોત તો તેણે કદાચ આત્મહત્યા જ કરી નાખી હોત.
ખુદ
સ્ટીફન હોકિંગના શરીરે જ્યારે
'દગો' દીધો ત્યારે તેને પહેલી લાગણી તો આવી જ નરદમ
હતાશાની થઈ હતી. સ્ટીફન હોકિંગ જ્યારે એકવીસ વર્ષનો જુવાન હતો
ત્યારે અચાનક એક દિવસ એક રોગ એની ઉપર ત્રાટક્યો. આ રોગને
'મોટર ન્યુરોન ડિસીઝ' કહે છે. માણસના સ્નાયુઓ તથા જ્ઞાનતંતુઓ પરનો મગજનો અંકુશ ચાલ્યો જાય છે. ધીરે ધીરે સંપૂર્ણ શરીરને ઘેરી લેતા અસાધ્ય પક્ષાઘાતના રોગનો જ આ પ્રકાર છે.
સ્ટીફન હોકિંગ ઊભો થઈ ન શકે, ચાલી પણ ન શકે,
ટેબલ ઉપર પડેલો પાણીનો પ્યાલો પોતાના હાથથી ઊંચકીને પોતાના હોઠ સુધી
લઈ જઈ ન શકે.
પણ
શરીરથી બિલકુલ ભાંગી પડેલા આ માણસ પાસે એક મજબૂત મન છે. તેનું સૌથી મોટું
શસ્ત્ર આ મન છે. દરેક માણસ માટે એ જ સાચું છે. જે જોઈ શકાતું નથી, પામી શકાતું નથી, સમજી શકાતું નથી એ મન મગજથી તો તદ્દન ભિન્ન છે. સ્ટીફન
હોકિંગના મનમાં ગરબડ નહોતી. તેના મગજમાં ગરબડ હતી. એક 'ખોટકો' ઊભો થયો હતો.
મગજના જે ખંડમાં વિચારશક્તિ વસે છે તેને કોઈ આંચ નહોતી આવી, મગજના જે ખંડમાં યાદશક્તિ વસે છે તેને કંઈ આંચ આવી નહોતી, પણ મગજના જે ખંડમાં શરીરના સ્નાયુઓ ઉપરના આદેશ-અંકુશનું
તંત્ર રહેલું છે તેમાં ગરબડ થઈ હતી. એ હિસ્સો જાણે કે મરી રહ્યો
હતો.
આવો
એ માણસ, એને પણ આવી એક આકાંક્ષા જાગી - કોઈ એક જ સિદ્ધાંતની ખોજ!
એની મંજિલ તો હજુ દૂર જ લાગે છે, પણ એનો માર્ગ
સાચો હોય તેમ લાગે છે. વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની જીવનકથા અને
તેની ખોજની કથા અદ્ભુત છે. કેમ કે તે કાંઈક ગૂઢ રીતે મનુષ્યના
મનની બ્રહ્માંડના રહસ્ય સુધી પહોંચવાની - પરમશક્તિ સુધી પહોંચવાની
સંભવિત ત્રેવડનું જ એક દૃષ્ટાંત પૂરું પાડે છે.
સ્ટીફન
હોકિંગનો જન્મ ઓક્સફર્ડ ખાતે ઈ.સ. ૧૯૪૨ની આઠમી જાન્યુઆરીના રોજ થયો હતો. તેનું મન અવકાશમાં ઘૂમતું હતું. શરીર ગંભીર માંદગીનાં
ચિહ્નો પ્રગટ કરી રહ્યું હતું. પોતાના હાથે જોડાંની દોરી બાંધવામાં
પણ તકલીફ પડતી હતી. બોલવામાંય તકલીફ પડતી હતી. દાક્તરોએ નિદાન કર્યું કે, 'એમિયોટ્રાફિક લેટરલ સ્લેરોસીસ'
એટલે કે 'મોટર ન્યુરોન ડિસીઝ' લાગુ પડ્યો છે. આ પક્ષાઘાતનું જ બીજું નામ અને આમાં સ્પાઇનલ
કોર્ડના નર્વસેલ્સનું વિસર્જન ઉત્તરોત્તર થવા માંડે અને શરીરના સ્નાયુઓની સ્વૈચ્છિક
પ્રવૃત્તિને વ્યવસ્થિત ચલાવતા મગજના કોષોનું પણ વિસર્જન ઉત્તરોત્તર થવા માંડે છે.
આખરે
ડોક્ટરોએ કહ્યું કે,
તે વધુમાં વધુ બે વર્ષ જીવશે. સ્ટીફન હોકિંગને
ભરજુવાનીમાં આ ફેંસલો સાંભળીને પ્રચંડ હતાશાનો - ડિપ્રેશનનો હુમલો
આવ્યો.
પણ
સ્ટીફન હોકિંગના આ રોગની વચ્ચે પણ જાણે કાંઈક વિરામ - કાંઈક સ્થિરતા જેવું આવ્યું.
સ્ટીફન હોકિંગને થયું કે મોત આવે ત્યાં સુધી જે કાંઈ સમય પોતાના હાથમાં
છે તે તેણે ફેંકી દેવો-વેડફી નાખવો નહિ જોઈએ. મિત્રો, કુટુંબીજનો, હોકિંગના શિક્ષક
વગેરેએ તેને પ્રોત્સાહન આપ્યું અને હોકિંગના જીવનમાં કાંઈક જીવ આવ્યો. હોકિંગે પોતાનું કાર્ય શરૃ કર્યું. અનેક પુસ્તકો પણ લખ્યાં.
આજે હજુ એ પોતાની શોધમાં વ્યસ્ત છે.
No comments:
Post a Comment