Saturday 22 June 2013

સર્વત્ર આ રૃપિયો જ જાણે ઈશ્વર સુધી પહોંચવાનું એકમાત્ર પૈડું હોય તેવું દેખાય છે.

રશિયાનો મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી હજુ સત્તર વર્ષનો કિશોર હતો ત્યારે તેણે ઉંમરમાં એક જ વર્ષ મોટા અને એકમાત્ર મિત્ર જેવા તેના મોટાભાઈ મિખેઇલને એક પત્રમાં લખ્યું હતુંઃ 'માણસ એક રહસ્ય છે. એનો ભેદ પામવો જોઈએ અને એ રહસ્ય પામવામાં તમારે આખી જિંદગી વિતાવવી પડે તોપણ તમે એવું માનશો નહીં કે જિંદગી નકામી ગઈ છે. માણસનું આ રહસ્ય મારું સમગ્ર મન રોકી રહ્યું છે, કેમ કે મારે માણસ બનવું છે.'

દોસ્તોવસ્કીની છ દાયકાની જિંદગી જાણે માણસને પામવા માટેની એક કોશિશ જેવી લાગે છે. તે લેખક તરીકે મહાન બન્યો, પણ તેનું રહસ્ય પણ એ જ કે તે માણસના હૃદય સુધી પહોંચવાની સતત મથામણ કર્યા કરે છે. આમ જુઓ તો એની જિંદગી દુઃખના એક દરિયા જેવી છે. તદ્દન અદનો માણસ છે. કોઈ પણ સામાન્ય માણસ જેવો જ વહેમી છે, એવો જ ઢીલો છે, લઘુતાગ્રંથિથી પીડાય છે, આત્મવિશ્વાસની કમી છે - પણ જેવી કસોટી-કટોકટી સામે આવી કે તરત તે એકદમ ટટ્ટાર, મક્કમ અને પોલાદી બની જાય છે. આખી જિંદગી એ દેવાદારનો દેવાદાર રહ્યો- પંચાવન વર્ષની ઉંમરે તેણે નાનકડું ઘર ખરીદ્યું- પોતાની માલિકીનું આ એનું પહેલું અને છેલ્લું ઘર. જિંદગીમાં નહીં નહીં તોય વીસ વાર પોતાનું સરનામું બદલવું પડ્યું હતું. શાહુકારો તેના લોહીના તરસ્યા હતા અને એ અહીંથી તહીં સંતાકૂકડી રમ્યા કરતો હતો, પણ એ તો જિંદગીને જુદી રીતે જ જોતો હતો. એને મન તો જિંદગી 'માણસનું રહસ્ય' પામવા માટેની એક વિકટ યાત્રા હતી

પોતે જીવતો છે તે હકીકત જ તેને પરમ આશ્ચર્ય જેવી લાગતી હતી. તે વારંવાર પોતાની જીભ જોયા કરતો. તે વારંવાર પોતાની નાડી પણ તપાસ્યા કરતો. તેને વાઈનું દરદ હતું અને શ્વાસની તકલીફ હતી. તબિયતની બીજી નાની-નાની ગરબડોનો પાર નહોતો. એના દાદા પાદરી હતા- તેથી જ કદાચ જિંદગીનાં અસહ્ય દુઃખો વચ્ચે પણ તે કોઈ ઊંડી શ્રદ્ધાના બળે અડગ અને ભાંગી ગયા વગર ઊભો રહી શક્યો હશે. તેના પિતા દાક્તર હતા

જિંદગીભર એ પ્રતિકૂળ સંજોગો સામે લડતો રહ્યો હતો અને જિંદગીની અનેક પીડાઓ અને પ્રશ્નોને કાગળ ઉપર આલેખવા મથતો રહ્યો હતો. એના સંજોગોનો ગેરલાભ ઉઠાવવામાં કોઈએ કશું બાકી રાખ્યું નહોતું, પણ દોસ્તોવસ્કી મોટા ભાગે પોતાની સર્જનપ્રવૃત્તિમાં જ આશ્વાસન અને આશ્રય શોધતો રહ્યો હતો. દોસ્તોવસ્કી સમાજવાદમાં માને છે, પણ એનો સમાજવાદ ઈસુ ખ્રિસ્તનો સમાજવાદ છે. એક માણસ બીજા માણસને પોતાના જેવો જ ગણે, એની પ્રત્યે કરુણા દાખવે તો માણસની અને આ સંસારની સિકલ બદલાઈ જાય.

પણ માણસ માણસની સાથે કરુણાનો વહેવાર રાખતો નથી. તે ઈશ્વરને મદદ કરવા તૈયાર છે, પણ માણસને મદદ કરવા તૈયાર નથી! તેને એટલો ખ્યાલ પણ આવતો નથી કે ઈશ્વરને માણસની મદદની કોઈ જરૃર નથી. તે ભૂખ્યો હોય તોય તમારા ભાવનો ભૂખ્યો હોઈ શકે છે, બાકી તમારી કાળી કે ધોળી લક્ષ્મીની એને કંઈ જરૃર નથી, મથુરામાં કંસના કારાવાસમાં જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો તે કૃષ્ણની જન્મભૂમિ તમને બતાવવા માટે બિચારા કેટલાય ગરીબ જુવાનો પડાપડી કરે છે. યાત્રીને મૂંઝવી દે છે. બસ પાંચ જ રૃપિયા/દસ જ રૃપિયા! તમને કૃષ્ણની ભૂમિ બતાવું, સરસ દર્શન કરાવું. બીજાં જોવાલાયક સ્થળો પણ બતાવું! હું ભિખારી નથી, હું ગરીબ વિદ્યાર્થી છું! તે છોકરો ખરેખર વિદ્યાર્થી હોવાનો પુરાવો પણ રજૂ કરે છે. તમે વૃંદાવનમાં જાઓ કે ગોકુળમાં જાઓ - એક બાજુ ભગવાનની મૂર્તિ પાસે નાણાંનો ઢગલો થયા કરે છે અને બીજી બાજુ આ ગરીબ કિશોરો-જુવાનો પાંચ-દસ રૃપિયા માટે ટળવળે છે. ગોકુળમાં તો માત્ર પાંચ રૃપિયાના બદલામાં, કંસના કારાવાસમાંથી મેઘલી રાતે શિશુ કૃષ્ણને લઈને યમુના નદી પાર કરીને સામા કાંઠા પર જે સ્થળે વસુદેવ આવી પહોંચ્યા હતા તે સ્થળ બતાવવા એક યુવાન અતિ ઉત્સુક હતો, પણ બીજો યુવાન પોતાનો હક છીનવાઈ ગયો હોય તેમ પેલા યુવાનની મારપીટ કરવા સુધી પહોંચી ગયો. માત્ર પાંચ જ રૃપિયા માટે! આ તો બિચારા લાચાર ગરીબ જુવાનો છે. તેમને કાંઈક કામ જોઈએ છે, પણ કશું કામ મળતું નથી એટલે આવી રીતે ભોમિયાની ભૂમિકા ભજવવા મથી રહ્યા છે, પણ કોઈ પણ મંદિરની અંદર પગ મૂકો - માખીઓની જેમ માણસો યાત્રીઓને ચોંટી પડે છે. પચાસ રૃપિયા આપો - તમને તદ્દન નજીકથી દર્શન કરાવું! સો રૃપિયા આપો - તમને મૂર્તિની ખૂબ નજીક લઈ જાઉં!

કોઈને એટલું સમજાતું નથી કે ઈશ્વરને ધનની આવી કોઈ જરૃર નથી. ધાર્મિક સ્થાનો બાંધવાની રીતસર હરીફાઈ આપણા દેશમાં જુદા જુદા પંથના સમર્થકો વચ્ચે ચાલ્યા જ કરે છે - સર્વત્ર આ રૃપિયો જ જાણે ઈશ્વર સુધી પહોંચવાનું એકમાત્ર પૈડું હોય તેવું દેખાય છે.

No comments:

Post a Comment