માણસ એક વાર મનથી હારી જાય પછી
તે ખરેખરી જીત પણ પિછાની શકતો નથી...........
માણસો મોટી ઉંમરે પણ
સક્રિય જીવનમાં તરબોળ રહી શકે, માંદા
થઈને પથારીમાં ન પડે અને નીરોગી જીવન જીવે તેનું કાંઈ રહસ્ય છે ખરું? એનું રહસ્ય એટલું જ છે કે ઉંમરની સાથે
જીવનશક્તિનાં પૂર ઓસરવા ન દેવાં હોય તો કોઈ પણ સંજોગોમાં માણસે મનથી ટટ્ટાર રહેવું
જોઈએ. આપણે મોટા ભાગે મનથી જ હારી જતાં હોઈએ છીએ. માણસ એક વાર મનથી હારી જાય પછી
તે ખરેખરી જીત પણ પિછાની શકતો નથી.
પશ્ચિમ જર્મનીના એક
વારના ચાન્સેલર એડોનેરનું જીવન જ ૬૦ વર્ષ પછી શરૂ થયું હતું. ચર્ચિલનું સાચું
રાજકીય જીવન પણ ૬૦ વર્ષ પછી શરૂ થયું. ચર્ચિલના એક ચરિત્રકારે નોંધ્યું છે કે
ચર્ચિલનું મૃત્યુ ૬૦ વર્ષે થયું હોત તો બ્રિટનના ઇતિહાસમાં તેનું નામ કોઈ નાના
પ્રકરણની ફૂટનોટમાં જ દટાઈ ગયું હોત. ચંગેઝ ખાનની જિંદગી ખરેખર ૫૬મા વર્ષે શરૂ થઈ
હતી. બ્રિટનના જાજરમાન વડા પ્રધાનો ડિઝરાયલી અને ગ્લેડસ્ટન જિંદગીના સંધ્યાટાણે
સૂરજની જેમ ઊગ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર ૫૫ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં કવિતા કરવા
બેઠા અને નોબેલ પારિતોષિક મેળવવા સદ્ભાગી બન્યા. દુુનિયામાં લાખો લોકો આજે પણ જે
કથા રસપૂર્વક વાંચે છે, તેનાં
હાસ્ય અને કરુણતા માણે છે, તે ‘ડોન કિહોટ’નો લેખક સર્વાન્ટિસ દારુણ ગરીબીમાં ૫૮ વર્ષની ઉંમરે એ
વાર્તા લખવા બેઠો હતો. માણસે પોતાને સંતોષ થાય અને જીવન સાર્થક લાગે તેવું
કાર્યક્ષેત્ર શોધી કાઢવું જોઈએ, નક્કી
કરી નાખવું જોઈએ અને પછી તેમાં ગૂંથાઈ જવું જોઈએ. માણસ ધારે તો ઘણાં બધાં કામ સાથે
પણ કરી શકે છે. મુખ્ય વાત પ્રવૃત્તિની છે. માણસની પ્રવૃત્તિ માત્ર રોજીરોટી
કમાવાની આવશ્યકતાના ખાબોચિયામાં ડૂબી જવી નહીં જોઈએ. જેમના જીવનમાં
કાર્યપ્રવૃત્તિનો ગુંજારવ ચાલુ જ રહે છે, ત્યાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક
પણ મધ નીપજ્યા વગર રહેતું નથી. જેઓ કાંઈ કરતા નથી, વહેલા થાકીને બેસી જાય છે, તેમને કાંઈ સિદ્ધિ મળતી નથી, તે તો ઠીક, પણ તે સાચા અર્થમાં જીવંત પણ રહેતા નથી.
ઘણા બધા માણસો
પોતાની નિષ્ક્રિયતા અગર અલ્પ પ્રવૃત્તિનો બચાવ કરતાં કહેશે કે, ‘સાહેબ, આવડત તો એટલી બધી છે, કામ કરવું પણ એટલું બધું ગમે છે ફલાણાને પૂછી જોજો ને, એ તમને કહેશે કે હું તો કામનો રાક્ષસ હતો. એટલું કામ
કરતો, એટલું કામ કરતો... પણ
અત્યારે કાંઈ કરી શકતો નથી, કેમ કે પત્ની બીમાર જ રહે છે. આજકાલ કરતાં પાંચસાત
વર્ષ થઈ ગયાં. દવાદારૂ ચિંતા કામ શું
સૂઝે! આવા માણસોને તમે પૂછો કે ખરેખર પત્ની બીમાર છે, તો તમે રસોઈ શીખી ગયા? શું તમે બધાંને રસોઈ કરીને જમાડો છો? શું તમે ઘર સંભાળો છો? શું તમે પત્નીની ચાકરી કરો છો? આ બધાંનો જવાબ કાં તો ના હશે અને કાં હાના જેવો હશે.
કોઈ પત્ની કે પુત્રની માંદગીની વાત કરશે, કોઈ પોતાના પક્ષાઘાત કે લોહીના દબાણની વાત કરશે, કોઈ એક યા બીજા પ્રકારની મુશ્કેલી આગળ કરશે. કેટલાક
કિસ્સામાં આવાં કારણો સાચાં હશે, પણ
મોટા ભાગના કિસ્સામાં આવાં કારણો માણસે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના ‘હેંગર’ તરીકે લટકાવી રાખેલાં હોય છે.
૫૫થી ૬૦ વર્ષની
ઉંમરના માણસોને તમે ‘પેન્શનર્સ
પેરેડાઇઝ’ના ઓટલે વાતોના ગપાટા
મારતાં જુઓ ત્યારે થાય કે, આ બધા
કેમ આવી રીતે બેસી ગયા હશે? તેમનો
દીકરો ડોક્ટર કે એન્જિનિયર, સરકારી
અમલદાર કે દુકાનદાર હોય તો સારી વાત છે. પણ તેથી તો તેમણે બેસી જવાને બદલે
પ્રવૃત્તિની નવી દિશા પકડવી જોઈએ. સામાજિક સેવાનું પારાવાર કામ પડ્યું છે. સમાજને
ઉપયોગી થવાનાં નાનાંમોટાં લાખ કામ રાહ જોઈને પડ્યાં છે. માણસ ઇચ્છે તો તેને ઘડીકે
નવરા પડવું ન પડે એટલું કામ છે.
પણ તેમાં પ્રવૃત્ત
થવાને બદવે માણસ અત્યારે કાં તો મોટાં પાટિયાં મારીને આળસને લાડ લડાવતી
ક્લબપ્રવૃત્તિમાં ડૂબી જવાનું પસંદ કરે છે, અને કાં પોતાની નિષ્ક્રિયતાને ધાર્મિકતાનો કેસરી સાફો
બાંધી દે છે. સંસારમાં આટલા બધા માણસો નાનીમોટી વેદનામાં પિલાતા હોય, કોઈની મદદનો હાથ આવી મળવાની રાહ જોઈ રહ્યા હોય,
ત્યારે કોઈને પણ ઈશ્વરના નામે રિટાયરિંગ
રૂમમાં પગ પહોળા કરીને બેસી જવાનો અધિકાર નથી.
ભૂપત વડોદરિયાના પંચામૃત પુસ્તકમાંથી..............
No comments:
Post a Comment