Monday 24 September 2012

જીવતાં હોવાનો પણ એક આનંદ છે, તેનો એહસાસ માણસે કરવો જોઇએ.........

જીવતાં હોવાનો પણ એક આનંદ છે, તેનો એહસાસ માણસે કરવો જોઇએ.........

તમારી જિંદગીના પત્રકમાં જુદાંજુદાં ખાનાંમાં તમે શું શું જમા કર્યું છે તેના પરથી તેનો એકંદર ગુણાંક નક્કી થશે. તમે કોઈ સ્ત્રીને જિંદગીભર નિઃસ્વાર્થભાવે ચાહી છે? તે સ્ત્રી તમારી માતા હોય કે પત્ની હોય કે પ્રિયતમા હોય કે બહેન હોય કે પુત્રી હોય. તમે કોઈ મિત્રને દિલોજાનથી ચાહ્યો છે? એવો કોઈ મિત્ર જેને યાદ કરતાં તમને ક્યારેક કૃષ્ણનો ભાવ તો ક્યારે સુદામાનો ભાવ હૃદયમાં ઊભરાયો હોય. તમારી જિંદગીમાં તમે એક માણસ તરીકેની કેટલી પરીક્ષામાં પાસ થયા અને કેટલી કસોટીમાં નિષ્ફળ નીવડ્યા તેનો કોઈ હિસાબ માંડ્યો છે? ગમે તેટલા કપરા સંજોગોની વચ્ચે તમે જીવનનો શુદ્ધ રસ કેટલો પીધો, એમાંથી કેટલો આનંદ મેળવ્યો તેનો કોઈ ખ્યાલ કર્યો છે?

જીવતાં હોવાનો જ એક આનંદ છે, પણ એ આનંદ પણ માણસ મિલકતની જેમ સંતાડી રાખે છે. અડોશપડોશમાં, સગાંસંબંધીઓમાં, બીજે ક્યાંક મોત દરોડો પાડે છે ત્યારે રખે મારો દલ્લોલૂંટાઈ જાય તેનો ડર તેની પાસે એ મિલકત જાહેર કરાવે છે અને પછી મોત કોઈકને ઉપાડી ગયું પણ પોતે બચી ગયા  પોતાનો દલ્લોબચી ગયો તેનો આનંદ એક ક્ષણિક ઊભરારૂપે પ્રગટ થાય છે. પણ જીવતા હોવાનો જ આ એક અનોખો આનંદ રોજબરોજના જીવનમાં પ્રગટ થતો નથી. આપણો ઘણો બધો સમય આપણા માટે કીમતી પોશાક તૈયાર કરવામાં અને કીમતી રહેઠાણ તૈયાર કરવામાં જાય છે. પોશાકો તૈયાર થઈ જાય, રહેઠાણ તૈયાર થઈ જાય, આખી જિંદગી ખૂબ ખૂબ મહેનત કરીને ઘણું કમાયા તેનું માનપત્રપણ તૈયાર થઈ જાય પણ પછી મૂળ માણસ પાસે નિજાનંદે જીવવાનો ઝાઝો વખત રહ્યો જ નથી હોતો. આનંદથી જીવવા માટે પણ એક મિજાજ જોઈએ છે. 

હાસ્યકથાઓના મશહૂર લેખક પી. જી. વૂડહાઉસે આત્મકથનીના એક લેખમાં લખ્યું છે કે મારી પાસે ઘણા બધા માણસો આવે છે અને મને કહે છે કે તમે મારી જિંદગીની કથા સાંભળો! મારી જિંદગીની કથા સાંભળીને આફરીનપોકારી ઊઠશો અને પછી તેના ઉપરથી તમે જે વાર્તા લખશો તે એટલી રસિક અને દિલધડક હશે કે વાચકો ખુશખુશ થઈ જશે. જ્યારે એ પોતાની જિંદગીની કથા કહેવા માંડે છે ત્યારે ઘણું બધું કહી નાખવાના તાનમાં હોય છે, પણ પછી લોચા વાળવા માંડે છે. એમની જિંદગીની કથા હું સાંભળી લઉં પછી મને થાય છે કે આ માણસોને શું કહું? તેમને સાચું કહું તો તેમને માઠું લાગી જાય. બાકી એમને એટલું કહેવાનું મને મન થાય છે કે, ભલા માણસ, ઠીક છે. તમે મલાવી મલાવીને તમારી જિંદગીની વાત તો કરી પણ આમાં ક્યાં છે રસ, ક્યાં છે દિલધડક પ્રસંગો, ક્યાં છે સાહસ, ક્યાં છે શૌર્ય? શું છે તમારી જિંદગીમાં? એવું લાગે છે કે તમે તો ખરેખર સાચા અર્થમાં જીવ્યા જ નથી.
કેટલાક માણસો માને છે કે સુખસંપત્તિનાં સાધનો ગમે તે ભોગે ઊભાં કરવાં, પેદા કરવાં એનું નામ જિંદગી. બીજા કેટલાક વળી માને છે કે સાચાં કે ખોટાં જાતજાતનાં માનપત્રો અને પ્રમાણપત્રો ભેગાં કરવાં એ જ જિંદગી! બીજા કેટલાક વળી એમ જ માને છે કે બસ ક્યાંક નજર ચોંટેલી રહેવી જોઈએ, નહીં પોતાની અંદર જોવાનું, નહીં આસપાસ નજર કરવાની, નહીં દિલને ઢંઢોળવાનું કે નહીં મગજને ક્યાંક સાચી રીતે કસોટીએ ચઢાવવાનું. દુનિયા જેને સુખ’, ‘આનંદ’, ‘વૈભવ’, ‘નસીબસમજે છે તે તો માત્ર રૂપિયાની જાદુગરી છે! એટલે ગમે તેમ કરીને ગમે તે ભોગે રૂપિયા મેળવોબસ! એ માટે ભલે બધું હોમી દેવું પડે. જિંદગીમાં જે કંઈ લીલુંછમ છે તે બધું ભલે બળીને કાળુંમેંશ કે રાખ થઈ જાય. પછી માણસ પાસે કંઈ જ બચતું નથી. તે પોતે પણ બચી શકે તેમ નથી હોતો ત્યારે તેને અંતિમ ક્ષણે સંભવતઃ ભાન થાય છે કે જિંદગીમાંથી કશું કામનું તો પામ્યા નહીં અને જે પામ્યા તે હવે પોતાના કોઈ કામનું જ તો રહ્યું જ નથી. 

પોતાની અંદર જ પરમ આત્માના કે પરમ શક્તિનાં દર્શન કર્યાં હોત, સમગ્ર સૃષ્ટિમાં પ્રાણ અને પદાર્થના અગણિત આવિષ્કારોમાં પરમ આત્માના કે પરમ શક્તિના એક અંશરૂપે પોતાની જ છબીનાં પણ દર્શન કર્યાં હોત આ બધાંમાં પોતાને ભેળવીને અને પોતાનામાં આ બધું મેળવીને જીવ્યા હોત તો જિંદગીનો આનંદ કાંઈક જુદો જ હોત. એવું કર્યું હોત તો મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની  નામશેષ થઈ ગયાની લાગણી ન થાત, પણ પ્રેમ અને પ્રકાશની પરમ ચેતનામાં ભળી જઈને મુક્તિ પામ્યાનો આનંદ જ થયો હોત.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી......................

No comments:

Post a Comment